ભારતીય સેના દિવસ દર વર્ષે ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પા (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) એ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લાં બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દિવસે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ દેશના તમામ સૈન્ય મુખ્યાલયોમાં પરેડ અને વિવિધ લશ્કરી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવી દિલ્હી ખાતે ૭૩મો ભારતીય સેના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ભારતીય સેના દિવસ એ એવા બહાદુર સૈનિકોને સલામ કરવાનો દિવસ છે, જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું અમૂલ્ય બલિદાન આપ્યું છે.
આર્મી ડે પરેડ : દર વર્ષે આર્મી ડે પરેડનું મુખ્ય આયોજન દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં કરવામાં આવે છે. આ ઉપરાંત અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ તથા તમામ આર્મી ઓફિસો અને મુખ્ય મથકોમાં પણ કાર્યક્રમો યોજાય છે. પરેડ દરમિયાન સેનાના જવાનો દ્વારા શિસ્તબદ્ધ ડ્રિલ, લશ્કરી આયુધોનું પ્રદર્શન, વિવિધ ટુકડીઓની કવાયત અને લડાયક પ્રદર્શન રજૂ કરવામાં આવે છે. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી આર્મી ડે પરેડમાં સેનાના જવાનોની સક્રિય ડ્રિલ વિશેષ આકર્ષણ રહી હતી.
વીરતા પુરસ્કારો : આ દિવસે વીરતા પુરસ્કારો અને સેના મેડલો એનાયત કરવામાં આવે છે. ૨૦૨૦માં ૧૫ સૈનિકોને બહાદુરી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પરમવીર ચક્ર અને અશોક ચક્રના વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે, જે પરેડનું ગૌરવ વધારે છે.
૨૦૨૦માં કેપ્ટન તાનિયા શેરગિલ આર્મી ડે પરેડની કમાન સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા, જે ભારતીય સેનાના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી.
