


ભારત દેશમાં ઘણા બધા વિશિષ્ટ દિવસોની ઉજવણી કરવામાં આવે છે ઘણા મહાન વ્યક્તિઓના જન્મદિવસને પણ એક વિશિષ્ટ દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર એટલે મહાન વ્યક્તિત્વ ધરાવતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ તેઓ એક આદર્શ શિક્ષક હતા તેમને શિક્ષણ અને શિક્ષકો પ્રત્યે ખૂબ અહોભાવ હતો તેથી તેમણે પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના દિવસને આખા દેશમાં શિક્ષક દિન તરીકે ઘામધૂમથી ઉજવવામાં આવે છે.
શિક્ષક દિનના દિવસની ઉજવણીમાં શાળા, મહાશાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બને છે અને વર્ગમાં જઈને જે વિષયના શિક્ષક બન્યા હોય તે વિષયને અનુરૂપ શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓ આ દિવસે ખૂબ આનંદમાં હોય છે તેમને શિક્ષક બની વર્ગમાં ભણાવવાની ખૂબ મજા આવે છે. આ દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ રંગીન કપડામાં સુંદર લાગે છે.
શિક્ષક દિનની ઉજવણી પાછળનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં તેમજ સમાજમાં શિક્ષકો પ્રત્યે આદરની ભાવનાઓ વિકાસ થાય. આ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને અભ્યાસ કરાવે છે જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની શું જવાબદારી હોય છે તેનો અનુભવ થાય છે. શિક્ષક તરીકેની જવાબદારી નિભાવવી કેટલી અઘરી છે તેનો પણ વિદ્યાર્થીઓ અનુભવ કરે છે.
આપણી શાળા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં ગુજરાતી માધ્યમ ધોરણ 9 થી 12 માં સ્વયં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આચાર્ય તેમજ ઉપાચાર્ય તરીકે પણ વિદ્યાર્થીઓએ સારી ભૂમિકા ભજવી પટાવાળા તરીકે પણ સારી ભૂમિકા ભજવી. સમગ્ર ઉજવણી અંતર્ગત તમામ વિદ્યાર્થીઓએ સ્વયં શાસન કરી અનુભવ મેળવ્યો હતો અને શિક્ષકોના મહત્વને સાચા અર્થમાં સમજ્યા હતા.